ફ્રાન્સના અગ્રણી અખબારોએ નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર ગણાવ્યા..

ખેલ-કૂદ દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક :

ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોના અહેવાલ મુજબ “એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર રીતે નથી થઈ. પરંતુ જૂનમાં સળંગ ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવેલા વડાપ્રધાને, “સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ (ભારત) 2036ની રમતોની હોડમાં રહેવા ઇચ્છતા હતા,” એમ અંબાણીએ કહ્યું હતું.

તાજેતરમાં વિશ્વભરમાં સેલિબ્રિટી તરીકે પ્રેસમાં સર્વત્ર દેખાયેલા નીતા અંબાણી એ જ અનંતના માતા છે, જેમના ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહ ચાર મહિના સુધીના અલગ અલગ મહોત્સવોમાં ચાલ્યા હતા અને તેને સંલગ્ન પ્રાઈવેટ કોન્સર્ટ્સમાં જસ્ટિન બિબર અને રિહાન્ના જેવા ખ્યાતનામ સિંગર્સે પરફોર્મ કર્યું હતું અને ટોની બ્લેર, બોરિસ જોન્સન જેવા વર્લ્ડ લીડર્સ તેમજ અનેક નામી બોલિવૂડ માંધાતાઓએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો.

નીતા અંબાણી છેક 2016થી આઈઓસીના (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેમ્બર છે અને હાલમાં જ ફરીથી ચૂંટાયા છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે, જેણે ઓલિમ્પિકના ઇતિહાસના સૌપ્રથમ ‘ઈન્ડિયા હાઉસ’ને નાણાકીય સહાયતા પૂરી પાડી છે. આ ઈન્ડિયા હાઉસ એ પાર્ક દ લા વિલેમાં સ્થાપિત મહારાજાના પેલેસની પ્રતિકૃતિ સમાન ઉજાસભર્યા રંગોનું પેવિલિયન છે, જે બ્રાઝિલ અને કોલમ્બિયાના હાઉસથી નજીક છે.

ભારતીય કલા, સંગીત, વાનગીઓ અને રમતગમતની ઝાંખી કરાવતા આ મંચ પર ગુલાબી છાંટ ધરાવતી અદભુત ફ્લોરલ સાડીમાં સજ્જ નીતા અંબાણીએ અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોને એક ખાસ મુલાકાત આપી હતી. પરંપરાગત ભારતીય નૃત્ય, ભરતનાટ્યમના આ પૂર્વ શિષ્યા અર્થશાસ્ત્રમાં ડિગ્રી ધરાવે છે અને 2004માં એથેન્સ પછીથી કોઈ ઓલિમ્પિયાડ ચૂક્યા નથી. ગત શુક્રવારે સાંજે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં, તેમના પતિ તેમજ “આઈઓસીના મિત્રો”ની બાજુમાં વરસાદથી બચવા માટેના પોન્ચોમાં સજ્જ થઈ તેમણે કહ્યું હતું કે, તેઓ પોતે અહીં આવીને “ટીનેજર જેવો” ઉત્સાહ અનુભવી રહ્યા છે. “એથ્લીટ્સને બોટ પરેડ ખૂબ ગમી હતી”, એવું ઉત્સાહપૂર્વક નીતા અંબાણીએ કહ્યું હતું, જેમને “ફ્રેન્ચમાં ગાતા લેડી ગાગા” સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો હતો અને “સિલિન ડિયોનનું પરફોર્મન્સ સોનામાં સુગંધ ભળવા જેવું” લાગ્યું હતું. થોમસ જોલીનો શો ભારતમાં ઓલિમ્પિક સમારોહને પ્રેરણા આપી શકે કે કેમ તેવો સવાલ કરાયો ત્યારે પેરિસ સમારોહની ટીકા કરતા ખચકાતા, તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ તો ભારતીય સંસ્કૃતિને જ હાઈલાઈટ કરવા માંગે છે.

હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ નથી

હાલ તો 1.4 અબજથી વધુ વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ બની શક્યું નથી. તેણે ચોક્કસપણે પેરિસ 2024માં 16 સ્પર્ધાઓમાં 117 એથ્લિટ્સને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ 25 સમર ઓલિમ્પિયાડ્સમાં અત્યાર સુધીમાં 10 સુવર્ણ ચંદ્રક અંકે કર્યા છે (જેની તુલનામાં ફ્રાન્સના 220 કરતા વધુ અથવા હરીફ ચીનના 260 કરતાં વધુ છે). નીતા અંબાણીની અધ્યક્ષતા હેઠળનું ફાઉન્ડેશન 100-મીટર હર્ડલ્સને 13 સેકન્ડથી ઓછા સમયમાં પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા જ્યોતિ યાર્રાજી સહિત અનેક નેશનલ ચેમ્પિયન્સને મદદ કરી રહ્યું છે. “તેની માતા નોકર છે, તેના પિતા સિક્યુરિટી ગાર્ડ છે”, આપણી “ક્વિન ઓફ સ્પ્રિન્ટિંગ” એ “આશાથી તરબતર ભારતીય યૂવા પેઢીની કહાણી જણાવે છે”, એમ નીતા અંબાણીએ કહ્યું હતું.

છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં દેશની માળખાકીય સુવિધાઓમાં ઘણો સુધારો થયો છે અને તે વડાપ્રધાન મોદીને આભારી છે. (…) આજે ભારતમાં ગામડામાંથી શહેર સુધી પહોંચવું ખૂબ સરળ છે અને રમતગમતની સુવિધાઓ ઘણી વધી ગઈ છે

જ્યોતિ યાર્રાજીએ રિલાયન્સ ફાઉન્ડેશનની ત્રણ રમતગમત સુવિધાઓમાંની એક એવા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં તાલીમ લીધી છે, અને ફાઉન્ડેશન સમગ્ર દેશમાં 22 મિલિયનથી વધુ યુવા ભારતીયોની શૈક્ષણિક અને રમતગમતની તાલીમને પણ મદદ પૂરી પાડે છે. નીતા અંબાણી કહે છે કે “આપણે વિવિધ રમતો રમનાર દેશ બની રહ્યા છીએ” ટોક્યોમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારા નીરજ ચોપરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તે સમયે 60 મિલિયન દેશવાસીઓએ સ્ક્રીન પર ચોપરાને ફોલો કર્યો હતો. ભારતની રાષ્ટ્રીય રમત તો ક્રિકેટ જ કહી શકાય કારણ કે તેને લોકો ધર્મની જેમ પૂજે છે. નીતા અંબાણી પ્રિમિયર લીગ ક્લબ મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવે છે અને રિલાયન્સ ગ્રૂપની માલિકીની પાંચ ક્લબો વિશ્વભરમાં છે. ક્રિકેટ 2028ની લોસ એન્જલસ ગેમ્સથી ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ભારત માટે આ એક સુવર્ણ તક બનશે.

વર્ષ 2036 ઓલિમ્પિયાડનો દાવો કરવા માટે એશિયન જાયન્ટની મુખ્ય વિશેષતા શી છે? નીતા અંબાણી ભારપૂર્વક કહે છે કે “અમારી 1.4 અબજ લોકોની વસ્તી છે, જે ખૂબ જ યુવાન વસ્તી છે.” દર ત્રણમાંથી બે ભારતીયોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સને જણાવ્યું હતું કે, “છેલ્લા ચારથી પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વડાપ્રધાન મોદીને આભારી છે. પહેલાં ભારતમાં સફર કરવી પણ મુશ્કેલ હતી, યુવાનો માટે તાલીમ કેન્દ્રમાં જોડાવું એક અગ્નિપરીક્ષા હતી. આજે ગામડામાંથી શહેરમાં પહોંચવું ખૂબ સરળ છે અને રમતગમતની સુવિધાઓ ઘણી વધી ગઈ છે.”

યુરોપ કરતાં વધુ વૈવિધ્યસભર ગણાવાતા અમારા દેશમાં છે, જે ધાર્મિક અને સામાજિક તડાની ઉપર છે. અહીં “રમતગમત એકતા અને સમાનતાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે”, “બાળકો મેદાનમાં હોય છે ત્યારે તમામ ભેદભાવો ભૂલી જાય છે, અને આ ભાવનાની વિશ્વને અગાઉ ક્યારેય નહોતી તેટલી જરૂર આજે છે,” તેમ ભારતીય રમતગમતના ગોડમધર સમાન વ્યક્તિત્ત્વએ જણાવ્યું હતું.